Spasht Dhyey Kevu Hoy
Spasht Dhyey Kevu Hoy
સ્પષ્ટ ધ્યેય કેવું હોય
દોસ્તો આપણા જીવનમાં આપણે આપણું ધ્યેય કેવું હોવું જોઈએ અને તેમાય સ્પષ્ટ ધ્યેય કેવું હોય છે એનાથી જીવનમાં કર્યો સફળતાથી પાર થાય છે તેના વિષે અહિયાં કેટલાક પ્રેરણાદાયક ઉદાહરણ સાથે સમજાવેલ છે.
ખંત, એ પ્રાચીન આર્ય અને રોમન લોકોને છાજે એવો સદગુણ પ્રેત્યેક દૈવી કાર્ય કરે છે અને અણીના સમયે પણ એ વિજય પ્રાપ્ત કરે છે.
હેરિયેટ બીચર સ્ટો જણાવે છે કે, `જ્યારે તમે અત્યંત સંકડામણમાં આવી પડો અને હવે એક મિનિટ પણ ટકી શકાશે નહિં એમ તમને લાગે તથા પ્રત્યેક વસ્તુ તમારી વિરુદ્ધ જતી લાગે ત્યારે પણ તમે પ્રયત્ન છોડી દેશો નહીં. કારણ કે બરાબર તે જ સમયે કિસ્મતનું ચક્કર ફરી જશે.`
જે માણસ આકસ્મિક સંકટોથી કદી પણ ગભરાતો નથી તેને જગત વખાણે છે. જે માણસ શાંતિ, ધૈર્ય અને હિંમતપૂર્વક સામે થાય છે, જે જરૂર પડે તો પોતાના સ્થાન પર મરણ પામે છે; તેની પ્રશંસા સૌ કોઈ કરે છે.
`મને નીચો તોડી પાડો તોપણ હું હસતો હસતો મારા ખંડિયેરની ઉપર બેસીશા. મારા ટુકડે ટુકડા કરી નાખો તોપણ હું ધૈર્ય ધરીશ. મારા ચીંથરિયા હાલ જોઈને મારો ઉપહાસ કરો અને મને ચેપી રોગ જેવો ગણી મારાથી ભય પામી મારો ત્યાગ કરો તોપણ હું તમારા તિરસ્કારની લેશ પણ દરકાર રાખ્યા વિના ઓઠાંની પેઠે છળીશ` -રોબર્ટ હેરીક
સ્પષ્ટ ધ્યેય` હમેશાં લોકોની માનવૃતિ આકર્ષે છે. આ ગુણથી કાર્યસિદ્ધિ થાય છે અને પ્રત્યેક માણસ કાર્ય સિદ્ધ કરનારની સ્તુતિ કરે છે. પક્ષો અને સિદ્ધાંતોની લડાઈમાં દ્રઢતા વિનાના બુદ્ધિમાન માણસોને પરાજય અને બુદ્ધિ વિનાના દ્રઢ માણસોને વિજય પ્રાપ્ત થાય છે. `સત્ય પક્ષવાળો દુર્બળ અને નમ્ર રાજદ્વારી, અસત્ય પક્ષના ખંતીલા અને ચીવટવાળા રાજદ્વારીની સામે હરીફાઈમાં ટકી શકતો નથી.` તમે એક માણસની જીભ સાથે એક અભિપ્રાય લટકાવીને તેને તે અભિપ્રાય ધરાવનારો બનાવી શકતા નથી. સિદ્ધાંતોની કોઈ પણ લડાઈને અંતે તેનું નામ મરણ પામેલાની યાદીમાં જડશે નહીં અને ઘાયલ થયેલાની યાદીમાં પણ નહિઁ મળે; પરંતુ નાસી ગયેલા-ખોવાઈ ગયેલાઓની યાદીમાં જ મળશે.
`મને જે પણ નાનીસૂની તક મળે તે દ્વારા હું મારુ પાણી બતાવી આપીશ.` -શેક્સપિયર
`ઈશ્વરની આપેલી તકો વૃથા જતી જોઈ રહેવી અને તે તરફ ધ્યાન આપ્યા વિના સ્વાર્થથી ભરેલા ભારે ગાદલાં ઉપર સૂઈ રફેવું; એવું તુચ્છ જીવન ગાળવા કરતાં દુ:ખી માણસોના દુ:ખ અંત:કરણપૂર્વક દૂર કરવા એ કેટલું ઉત્તમ, સત્ય સુખદાયક અને ઉન્નત જીવન છે ! વિષયાસક્ત થઈ, ભોગ-વિલાસમાં મત્ત રહી, દૈવી શક્તિ અને દૈવી લક્ષ્ય વિસરી જવા કરતાં ખુલ્લે શરીરે સંકટ સહન કરવાં એ કેટલું બધું સારું કામ છે !` -વ્હીટિયર
`ભલેને ભાગ્યદેવી પોતાની ભયકારક વસ્તુઓ મારા પર છોડી મૂકે; પરંતુ મારો આત્મા એવો છે કે જે ઢાલની પેઠે સર્વ પ્રહારો સહન કરી શકે છે અને વિશેષ પ્રહારોને માટે તૈયાર રહે છે .` -ડ્રાયટન
`તે એક બહાદુર શખ્સ છે, તે એક બુદ્ધિશાળી મનુષ્ય છે. ભલેને, આખું શહેર તેની વિરુદ્ધ કાં ન હોય, તો પણ તે પોતાને જે કહેવું હોય તે કહેતા ડરતો નથી.` -લોંગ્ફેલો
કદી પણ પતિત ન થવું એમાં કાંઈ પરમ ગૌરવ રહેલું નથી; પરંતુ જ્યારે જ્યારે પતિત થઈએ ત્યારે ત્યારે પુનઃઉન્નત થવામાં પરમ ગૌરવ છે.` -કોન્ફ્યુશિય
`ટાઈમ્સ` એક ચીથરિયું પેપર હતું અને વોલ્ટર તેનો પ્રકાશક હતો. આ પત્ર ચલાવવામાં તેને હમેશ ખોટ જતી હતી. નાના જોન વોલ્ટરની વય તે સમયે સત્તાવિશ વર્ષની હતી અને તેણે પોતાના પિતાને, તે પત્રનું સર્વ તંત્ર પોતાના હાથમાં સોંપવાની વિનંતી કરી. ઘણી માથાકૂટ થયા પછી અંતે તેના પિતાએ તે વિનંતી સ્વીકારી. હવે તે તરુણ પત્રકાર તે સંસ્થાને સુધારવા માટે સર્વત્ર નવીન કલ્પનાઓ દાખલ કરવાં લાગ્યો. તે પત્રે સાર્વજનિક મત કેળવ્યો ન હતો અને તેને પોતાનું સ્વતંત્ર વ્યકિતત્વ કે ચારિત્ર્ય ન હતું. તેનો પક્ષ બંધાયો ન હતો. તે સાહસિક તરુણ અધિપતિએ હિંમતપૂર્વક પ્રત્યેક દુરાચાર પર હુમલો કર્યો અને જ્યારે સરકાર ભ્રષ્ટતાના ખાડામાં પડેલી જોઈ ત્યારે તેને પણ છોડી નહિં. આથી સરકારે તેને છાપવાનું કામ અને જાહેર ખબરો આપવાનું બંધ કર્યું. આ જોઈ તેનો પિતા તો અત્યંત ગભરાઈ ગયો. તેના મનમાં તો એમજ ઠસી ગયું કે, આ ગાંડિયો છોકરો તેનું પોતાનું અને પત્રનું સત્યાનાશ જ વાળવાનો. તેણે ઘણો ઠપકો આપ્યો; પરંતુ તે તરુણ જગતને વજન, ચારિત્ર્ય, વ્યક્તિત્વ અને સ્વતંત્રતા અપાવનાર એક મહાન પત્ર અર્પણ કરવાના પોતાના લક્ષ્યથી ડગ્યો નહિં.
લોકોને તરત જણાયું કે, ટાઈમ્સની પાછળ એક નવીન શક્તિ ઊભેલી છે; તેના લીખો કાર્યસિદ્ધિ કરવાને માટે લખાય છે; ચીંથરિયા પત્રમાં નવું લોહી, નવો જુસ્સો અને નવા વિચારો પુરવામાં આવ્યા છે. બુદ્ધિ, આગળ ઘસવાની શક્તિ અને પોતાના કાર્યને આગ્રહપૂર્વક વળગી રહેવાનું સામર્થ્ય ધરાવનાર માણસ જ્યારે માર્ગ જડે નહિ ત્યારે નવીન માર્ગ બનાવી શકે એવો માણસ તેનું સુકાન હાથમાં પકડીને ઊભો છે. તેણે તેમાં જે જે નવીન તત્વો દાખલ કર્યા તેમાં વિદેશી સરકારના પત્રો પણ હતા. અને ખાસ સરકારના પત્રમાં પ્રકટ થયા પહેલા કેટલાક દિવસ પર તે ટાઈમ્સમાં પ્રકાશિત થયા હતા, વળી હમેશને માટે એક અગ્રલેખ દાખલ કરવામાં આવ્યો પરંતુ તે આક્રમણકારી તંત્રી પાર સરકાર ગુસ્સે થઈ તેથી વિદેશી સરકારોના પત્રો અટકાવવામાં આવ્યા અને માત્ર પત્રકારોના ખાનગી કાગળો જ પસાર થવા દીધા;છતાં આ દ્રઢ નિશ્ચયવાન તરુણ પુરુષે કોઈ પણ વિઘ્નથી ડર્યો નહિં. પુષ્કળ ખર્ચ કરીને તેણે ખબરપત્રીઓ રોક્યા. તેના માર્ગમાં જે જે વિરોધ સહન કરવો પડ્યો તેથી તો સફળતા મેળવવાનો તેનો નિશ્ચય અધિક જ દ્રઢ થતો રહ્યો સાહસ, આગળ ઘસવાની શક્તિ અને દ્રઢતા, આ ગુણો ટાઈમ્સની પાછળ ઊભા રહેલા હતા અને તેથી તેની પ્રગતિ અટકાવવાની કોઈનામાં પણ શક્તિ ન હતી. વોલ્ટર એ પત્રનો આત્મા હતો અને નાનામાં નાની બાબતોમાં પણ તેનું વ્યક્તિત્વ તારી આવતું હતું. તે સમયના ઉત્તમોત્તમ છાપખાનાં એક કલકમાં ટાઈમ્સની માત્ર ત્રણસો જ પ્રત છાપી શકતા હતા અને તે કારણથી વોલ્ટરને એક એક લખાણ બબ્બે અને ત્રણ ત્રણગણા ટાઈપ ગોઠવવા પડતાં હતા આથી તે નવીન યુક્તિ શોધી કાઢવાનો પ્રયત્ન કરવા લાગ્યો. અંતે તેણે દર કલાકે બંને બાજુએ છપાયેલી સત્તર હજાર પ્રત કાઢનારું પ્રેસ બનાવ્યું, જે વોલ્ટર પ્રેસના નામથી ઓળખાય છે. ઈ. સ. ૧૮૧૪ના નવેમ્બરની ૧૯મી તારીખે વરાળબળથી ચાલતા પ્રસમાં છપાયેલું પ્રથમ પત્ર જગતને અર્પણ કરવામાં આવ્યું. વોલ્ટરમાં પોતાના કાર્યમાં વળગી રહેવાની ચીવટ અદભૂત હતી. તે ગમે તેવા મોટા કામથી પાછો હઠતો નહિ અને ઝીણામાં ઝીણી બાબત તરફ પણ દુર્લભ કરતો નહિં.
`શું જિંદગી એટલી બધી પ્રિય છે અથવા શાંતિ શું એટલી બધી મધુર છે કે તેણે બંધન અને ગુલામીની કિંમતે ખરીદવી! હે સર્વ શક્તિમાન પ્રભો! તેનું મોં બાળ. બીજા માણસો કયો માર્ગ લેશે તે હું જાણતો નથી; પરંતુ કાં તો સ્વતંત્રતા આપ કે કાં મૃત્યુ આપ !`
લિંકન અને ગ્રાંટમાં એવી દ્રઢતા હતી કે તેઓ લોકોના ઉપહાસની દરકાર કરતાં નહિ અને લોકોના પોકારથી પોતાનું લક્ષ્ય ચુકતા ન હતા. તેઓ નિંદા અને તિરસ્કાર સહેવાની શક્તિ ધરાવતાં હતા. દ્રઢ નિશ્ચય અને આત્મશ્રદ્ધામાં પ્રબળ શક્તિ રહેલી છે. સત્યમાં પરમ બળ રહેલું છે અને જ્ઞાન અને `સત્યમેવ જયતે` એવી દ્રઢ માન્યતામાં મહાસામર્થ્ય હોય છે જ.
સ્પષ્ટ ધ્યેયથી મનુષ્ય પોતાના લક્ષ્યને અત્યંત દ્રઢતાપૂર્વક વળગી રહેવાને અને અડગ રહેવાને શક્તિમાન થાય છે. તેને પોતાના કાર્યોની જાહેર ખબર ફેલાવવાની રહેતી નથી. કારણ કે તેની દ્રઢતા જ તેના પ્રત્યેક કાર્યની જાહેર ખબર ફ્ર્લાવે છે. દ્રઢતાને લીધે તે કોઈ કોઈ વાર જ કાર્ય કરતો નથી, પણ કાર્યમાં નિરંતર નિમગ્ન રહેવું એ તેનો સ્વભાવ બની ગયેલો હોય છે. તે પરમ સાહસિકતા અને બહાદુરીનાં આંદોલનો ફેલાવે છે ઘણા લોકો નિષ્ફળ થાય છે તેનું કારણ દ્રઢતા અને વ્યવહાર્કુશળતાનો અભાવ છે.
હજારો માણસોએ આરોગ્ય, હાથ, પગ, આંખ, કાન ઈત્યાદીના સ્થાને દ્રઢતા મૂકીને અદભૂત વિજયો મેળવ્યો છે. વાસ્તવમાં જગતનાં મહાન કાર્યો પૈકી ઘણાંક દ્રઢતા અને મહેનતથી જ પાર પડ્યાં છે જે માણસમાં આ ગુણો હોય તેને કદી પણ અધમ દશામાં રાખી શકશો નહિ. તેઓ વિઘ્નોને પગથિયાં બનાવશે. અને સફળતાના શિખર પર ચઢી જશે.
ગારફીલ્ડ કહતો હતો કે `સખ્ત પરિશ્રમ કરવાની શક્તિ જો બુદ્ધિમત્તા નહિ હોય તો તેની ગરજ સારનારી ઉત્તમૌત્તમ વસ્તુ તો અવશ્ય છે જ. અમેરિકા જેવા પુષ્કળ તક મળી શકે છે એવા દેશમાં ઉધોગો અને દ્રઢતાથી ગરીબાઈ અને પ્રતિકૂળતાઑ પર જે જીત મળે છે તે જીત પોતાના દુર્ભાગ્ય વિષે બડબડાટ કર્યા કરનારા અને ઉદેશ વિનાના તથા ચંચલ વૃતિના માણસોને, અને શું કરે, બિચારાઓને તક મળતી નથી ત્યારે ને ?` એમ કહી બચાવ કરનારાઓને શરમમાં ડૂબાડી દેવાને પૂરતી છે.
વિશેષ ઝડપથી દોડનારો જ કઈ હમેશાં ઈનામ જીતતો નથી. બળવાન માણસને જ કાંઈ હમેશાં વિજય મળતો નથી. કેટલીક વાર શરતના ઘોડાને માર્ગમાં દોડતા દોડતા વિઘ્ન નડે છે. તેમને કેટલીક વાર ભારે બોજો ઉપાડીને દોડવાનું હોય છે અને તેથી શરતનાં પરિણામ પર અસર થાય છે. આ જ પ્રકારે જીવનરૂપી શરતમાં પણ માત્ર માર્ગની લંબાઈ ઉપર જ આધાર રાખવાનો નથી. વિઘ્નો,બોજાઓ, શિક્ષણ, કુળ, પરિસ્થિતી, સંયોગો વગેરેની પ્રતિકૂળતા પણ લક્ષ્યમાં લેવી જોઈએ. કેટલા બધાં તરુણ પુરુષો દેવું, ગરીબાઈ તથા અશક્તિમાન માબાપ, ભાઈ, બહેન, અથવા મિત્રોના ભરણપોષણનાં બોજા તળે કચરાઇ જાય છે ? કેટલા બધા તરુણોને અજ્ઞાન, પ્રતિકૂળ સંયોગો અને તેમની શક્તિથી અજ્ઞાત એવા માતાપિતાનો વિરોધ અડચણરૂપ થઈ પડે છે ! કેટલા બધા ગોળાકાર છોકરાઓને ચોરસ બકોરામાં ખોસી ઘાલીને પાયમાલ કરવામાં આવે છે ! કોઈ પણ માણસની શ્રદ્ધા નહિં હોવાથી; કોઈ પણ માણસનું ઉતેજન નહિં હોવાથી કોઈ પણ સહાનુભૂતિ હોવાથી; તથા પોતાના શરીરનો પ્રત્યેક તંતુ જે કાર્યની સામે થતો હોય જેની સામે પોતાના લોહીનું દરેકે દરેક બિન્દુ બંડ કરતું હોવાથી કેટલા બધા તરુણોને પોતાના માર્ગમાં વિલંબ થયો છે ! કેટલા બધા તરુણોને અજ્ઞાનાંધકાર અને અનુભવના અભાવથી પોતાના લક્ષ્ય પર પહોંચવું કઠિન થઈ પડ્યું છે ! કેટલા બધા તરુણોને પોતાના પસંદ કરેલા ધંધામાં, બાલયાવસ્થાની કેળવણી અને શિક્ષણના અભાવથી ઠોકર ખાતાં ખાતાં આગળ વધવું પડે છે ! કેટલા બધા તરુણોને પિતાના દ્રવ્ય અથવા માતાના લાદની છાયાએ ઊભા રહેવાની અને નહિં કે સ્વાશ્રયી થવાની કેળવણી મળી હોવાથી કાખલાઘોડી વડે ચાલવું પડે છે ! મોજવિલાસ, વિષયસુખ અને જીવનનું સત્યાનાશ વાળનારી કુટેવોથી કેટલા બધા માણસો જીવનપ્રયાસ કરવાને અશક્ત બની જાય છે અને કેટલા બધા માણસો વ્યાધિ, દુર્બળ શરીર, નિસ્તેજ દ્રષ્ટિ અથવા અશક્ત કાનને લીધે કાર્ય સિદ્ધ કરવાને અશક્ત નીવડે છે !
`શાણા અને ઉધોગી માણસો હિંમતપૂર્વક પ્રયત્ન કરીને મુશ્કેલીઓને જીતી લે છે; ત્યારે આળસુ અને મૂર્ખ માણસો શ્રમ અને સંકટને જોતાં જ ધ્રૂજવા મંડી જાય છે; અને જે અશક્યતાનો તેઓ ડર રાખતા હોય છે તે અશક્યતા જ તેઓ ઉત્પન્ન કરે છે.`



No comments