Header Ads

આપણી શાળાઓ અને શિક્ષકો

 આપણી શાળાઓ અને શિક્ષકો 

`શું ફિડિયાસ માત્ર એકલો જ પોતાના કામમાં જીવે છે ! તેનો બૃહસ્પતિ આજે પણ પાછો આવે છે : કબરમાંના એક પણ દૈવી પુરુષને જાગ્રત કરો એટલે તમને તેનામાં ફિડિયાસના વિચારો પ્રતીત થશે.

      ઉપનિષદ અને ગીતા, રામાયણ, કુરાન, અને બાઇબલ, અને ઇલિયડ, એ સર્વને કદાચ આ પૃથ્વીપટ પરથી ભૂંસી શકાય છે; પરંતુ એમાં વર્ણવેલ પ્રત્યેક ઉચ્ચ વિચાર અને કાર્ય તો સદા અમર અને પ્રકાશિત જ રહેશે.    

     મહાનપુરુષોના જીવનચરિત્ર આપણને એવું સ્મરણ કરાવે છે કે, આપણે પોતે પણ આપાણાં જીવન ઉચ્ચ કરવાને અને સમયની રેતી પણ આપણાં પગલાની અમર છાપ મૂકી જવાને શક્તિમાન છીએ.                         –લોંગ્ફેલો

      `મે જે જે વસ્તુ જોઈ છે અને સાંભળી છે તે સર્વના અંશ મારામાં દાખલ થયા છે.`                       --ટેનિસન

     કીર્તિના શિખર પર બિરાજમાન થયેલા ઘણા મહાન પુરૂષોને અમુક મહાન વિચાર અને કાર્યનાં ઉત્પાદક કે નિર્માતા ગણવામાં આવે છે; પરંતુ કાલે કરીને જ્યારે તેમના નામનું લેબલ ઝંખું પડી નષ્ટ થઈ જાય છે ત્યારે તે મહાન વિચારો અને કાર્યોના આત્મા પર ઊંડા અક્ષરે કોતરાયેલો `માતા` શબ્દ નજરે પડે છે. ખરેખર જે માતાના પુત્રોને લોકો તાલીઓથી વધાવી લે છે તે માતાને તો તેઓ કદાચ જરા પણ ઓળખાતા હોતા નથી !

આપણી શાળાઓ અને શિક્ષકો


     પ્રેસિડેન્ટ ગાર્ફિલ્ડે પોતાનો હોદો લીધા પછી સૌથી પહેલું કામ પોતાની વૃદ્ધ માતાને નમન કરવાનું કર્યું હતું. તે કહેતો હતો કે `હું જેવો છુ અને મારી પાસે જે છે તે સર્વનું કારણ મારી માતા છે.`

     બેન્જામીન વેસ્ટે કહ્યું હતું કે `મારી માતાના એક ચુંબને મને ચિત્રકાર બનાવ્યો છે.` લોર્ડ લેગ્ડેઈલે કહ્યું હતું કે `જો એક પલ્લામાં આખા જગતને મૂકવામાં આવે અને બીજામાં મારી માતાને મૂકવાને આવે તો જગતવાળું પલ્લું ઊંચુ જશે.`

ગેટેએ કહ્યું હતું કે `આપણો જન્મ થતાં જ જગતની આપણાં પર અસર થવા લાગે છે અને તે કર્યો છેવટ સુધી ચાલુ રહે છે.

     શેકસપિયર કહે છે કે `સંસારની વિરક્ત થયેલા આપણા આત્માને વૃક્ષોમાં જીભની, વહેતા ઝરાઓમાં પુસ્તકોની, પથ્થરોમાં ધર્મોપદેશની અને પ્રત્યેક વસ્તુમાં મંગળતાની પ્રતીતિ થાય છે.`

    આપણા શિક્ષણનો ઉત્તમોત્તમ ભાગ આપણને પ્રકૃતિ દેવી તરફથી મળે છે અને આપણે આપની જાતને શહેરમાં જ ગોંધી રાખીએ છીએ તેટલા માટે આપણી પાસેથી ભારે દંડ લે છે. આપણે શહેરમાં રહીને કુદરતની સ્વચ્છ અને આરોગ્યદાયક હવા મેળવી શકતા નથી; તેમ જ આનંદદાયક પક્ષીઓ,વહેળાઓ, પુષ્પો, ખીણો, જંગલો, બીડો અને ડુંગરોમાંથી પાઠો શીખી શકતા નથી. જગત એ કુદરતની મોટી નિશાળ છે. તે મનુષ્યોનો વિકાસ કરે છે; જીવનને પ્રફુલ્લિત કરે છે અને મનુષ્યોને બળવાન કરે છે. સર્વ રોગોની ઔષધિ તેનામાં રહેલી છે અને તેના સહવાસથી દૂર રહેનારને અવશ્ય દંડ ભરવો પડે છે. વળી  એથી તેના મનુષ્યત્વનો કેટલો ભાગ હમેશને માટે સંકુચિત થઈ જાય છે;તેની દ્રષ્ટિ મર્યાદા સાંકડી અને ટૂંકી થઈ જાય છે અને તેનું શિક્ષણ અપૂર્ણ રહે છે. સ્નાયુ, નસ અને બીજા સર્વ અવયવોની દ્રઢતા, ટકી રહેવાની શક્તિ, હિંમત, ચપળતા એ સર્વ ગુનો ગામડાના હવાપાણીથી પ્રાપ્ત થાય છે. શહેરનું નાગરિક જીવન મનુષ્યની શારીરિક અને નૈતિક ખરાબી કરે છે. શહેરમાં સુધારો ખૂબ દેખાય છે પરંતુ શક્તિ કમી થઈ જાય છે. શિક્ષણ પુષ્કળ દેખાય છે પણ કસ થોડો હોય છે. સુંદરતા વિશેષ દેહ ખાય છે પરંતુ મજબૂતી ઓછી હોય છે. ભાવના વિશેષ હોય છે પણ ડહાપણ થોડું હોય છે. પુસ્તકો વધારે હોય છે અને જ્ઞાન થોડું હોય છે. વાંચન પુષ્કળ હોય છે પણ બુદ્ધિ થોડી હોય છે. માહિતી પુષ્કળ મળે છે પણ કાર્ય કરવાની શક્તિ ઓછી હોય છે. કલ્પના પુષ્કળ હોય છે પણ દ્રઢ વિચારો ઓછા હોય છે, કોમળતા વધુ હોય છે પણ દ્રઢતા ઓછી હોય છે વર્તમાનપત્રો ખૂબ વાંચવામાં આવે છે પણ સ્મરણશક્તિ તથા ધારણા શક્તિ માંડ હોય છે. માણસોની સાથી મળવા હળવાનું ખૂબ થાય છે પરંતુ સહ્રદયતા ઓછી હોય છે. હાવભાવ અને મોઢાની મીઠાશ બનાવાતાં વધારે આવડે છે પણ અંદર ઊલટી જ વૃતિ હોય છે. અંદર એક વાત હોવા છતાં મોઢે તથા ચહેરામાં બીજા જ ભાવ દર્શાવવાની કળા વધારે હોય છે, પણ ઉચ્ચ હિતને સમજવા તથા સાધવાની કળા-સદગુણો-દૈવીસંપતિ વધારવાની ઈચ્છા અને યત્ન અલ્પ જ હોય છે.

    જંગલો, પહાડો, નદીઓ અને સમુદ્રના સહવાસે પ્રાચીન આર્યમુનિઓને અલૌકિક સત્યોના શોખીન દ્રષ્ટા તથા વકતા બનાવવામાં-પોતે કૃતકૃત્ય બની બીજાઓને પણ ઉચ્ચતા તરફ ખેંચવામાં-કેટલી બધી મદદ કરી હશે તે વાત શહેરી, મુડદાલ, સ્વાર્થપ્રેમી બુદ્ધિમાનો ભાગ્યે જ  સમજી શકે છે.  

     મહાન સિકંદરે કહ્યું હતું કે `મારા જીવનને માટે હું મારા પિતાનો આભારી છુ. પરંતુ મારા ઉત્તમ જીવનને માટે તો મારા શિક્ષકોનો જ આભારી છૂ.`   

     લિંકન પ્રેસિડેન્ટ તરીકે નિમાયો તે પહેલાં કેટલાક સમય પર તેણે નોરિચ શહેરમાં વ્યાખ્યાન આપ્યું ત્યારે તેની બારીક દલીલો સાંભળીને એક માણસ પર ઘણી જ અસર થઈ હતી. બીજે દિવસે તે એને આગગાડીમાં મળ્યો ત્યારે તેણે પૂછ્યું કે `આપને દલીલ કરવાની આવી અદભૂત શક્તિ અને પૃથક્કરણ કરવાની આવી ચોકકસતા ક્યાંથી પ્રાપ્ત થઈ ?` લિંકને પ્રત્યુત્તર આપ્યો કે `મને ભયંકર નિરાશા મળેલી તેથી મને એ શક્તિઓ મળી છે. તરુણાવસ્થામાં હું કાયદાનો અભ્યાસ કરવા ગયો ત્યારે મને જણાયું કે વકીલનું કામ ઘણે ભાગે મુકદમો સાબિત કરવાનું કે તોડી પાડવાનું જ હોય છે. મે મારા મનમાં પ્રશ્ન પૂછ્યો કે `લિંકન ! અમુક વાત સાબિત થયેલી ક્યારે કહેવાય ? મને પ્રત્યુતર મળી શક્યો નહિં. સાબિત થયેલી ક્યારે કહેવાય ? જુબાની એ કાંઈ સાબિતી નથી. જુબાની ભલે પૂરતી હોય પરંતુ સાબિતી શેમાં રહેલી છે ? પેલા જર્મનની પ્રાચીન વાત તો આપના સ્મરણમાં હશે જ. એક અપરાધને માટે તેની તપાસ ચાલી અને તેની વિરુદ્ધ શાક્ષી આપવાને અરચો ડઝન આબરૂદાર માણસોને ખડા કરવામાં આવ્યા. તેમણે પ્રતિજ્ઞાપૂર્વક જણાવ્યું કે કે, એ માણસે ગુનો કર્યો છે. તે માણસે પ્રત્યુતર આપ્યો કે `એમણે મારી સામે શાક્ષી પૂરી તેથી શું વળ્યું ? છ માણસો પ્રતિજ્ઞાપૂર્વક જણાવે છે કે તેમણે મને અપરાધ કરતાં જોયો છે; પરંતુ મારી પાસે બે ડઝન કરતાં અધિક સદગૃસ્થો એવા છે, કે જેઓ પ્રતિજ્ઞાપૂર્વક એમ કહેવાને તૈયાર છે કે તેમણે મને આ અપરાધ કરતો જોયો નથી. માટે સાબિતી ક્યાં છે. મે આ પ્રશ્ન પર વિચાર કર્યો અને છેવટે મારા મનમાં કહ્યું કે `આહ! લિંકન તું કહી શકતો નથી? ત્યાર પછી મે વિચાર કર્યો કે એક વાત સાબિત થયેલી ક્યારે કહેવાય તે જો હું કહી શકું નહિં તો કાયદાનો અભ્યાસ કરવામાં લાભ શો ? આવો વિચાર કરી મે તે અભ્યાસને તિલાંજલિ આપી હતી અને હું કેન્ટકીમાં મારે ઘેર પાછો ગયો. જુના લાકડાના ઝૂપડામાં હું પાછો ફર્યો ત્યાર પછી થોડા જ સમયમાં દૈવયોગે મને ભૂમિતિની એક પ્રત મળી આવી. ભૂમિતિ શું છે તે હું જાણતો પણ ન હતો. તેથી મને જાણવાની જિજ્ઞાશા થઈ. અંતે તેનું જ્ઞાન મને પ્રાપ્ત થયું પણ તે કામ કંઈ સહેલું ન હતું. મે ગ્રંથમાં નજર ફેરવી પરંતુ તે રેખાઓ અને ખૂણાઓ તથા કુંડાળાં ઈત્યાદીથી બહરેલો હતો. મને તેમાં જરાયે સમજ પડી નહિં. આથી મે મૂળથી જ પ્રારંભ કર્યો અને વસંત ઋતુ આવે તે પહેલા તેનું સંપૂર્ણ જ્ઞાન મેળવી લીધું પછી વસંતઋતુમાં મેં મનમાં પ્રશ્ન કર્યો કે `કેમ, તું એક વાત ક્યારે સાબિત થાય તે કહી શકે છે ?` અને મારા મનમાંથી પ્રત્યુતર આવ્યો કે `હા સાહેબ ! હવે તો કહી શકું છુ.` ત્યારે હવે તને કાયદાનો અભ્યાસ કરવાની રાજા છે.` ને ત્યાર પછી હું પાછો કાયદાનો અભ્યાસ કરવાને ગયો,`

    કોઈ પણ પુરુષ અથવા સ્ત્રી સમાજની સહાય વિના પોતાના મનુષ્યત્વનો સંપૂર્ણ વિકાસ કરી શકશે નહિં. સૂર્યાપ્રકાશ અને વરસાદ બીજને જેટલા ઉપયોગી છે તેટલો જ સમાજ વ્યક્તિને ઉપયોગી છે. તે એનો વિકાસ કરે છે; વિસ્તાર કરે છે; પ્રફુલિત કરે છે અને એની શક્તિને બહાર લાવે છે. બીજા મનુષ્યો તરફથી તેને તક મળે છે, પ્રત્યેક માણસ તેને માટે દીવાસળીરૂપ છે. તે તેનામાં રહેલું કોઈક નવીન લાકડું સળગાવે છે કે જે આગલી દીવાસળીથી સળગ્યું ન હતું. સમષ્ટિ વિના વ્યષ્ટિમાં રહેલો અગ્નિ હમેશને માટે ઢંકાયેલો જ રહે છે.

     પ્રગતિ કરવાની મહત્વાકાંક્ષા અને ઉત્પન્ન થવાનો સતત પ્રયાસ એ આપણને નિરંતર દીર્ઘદ્રષ્ટિ, ડહાપણ, કરકસર અને હિંમતનું શિક્ષણ આપ્યા કરે છે. વાસ્તવમાં તે આપણાં દ્રઢમાં દ્રઢ અને ઉચ્ચમાં ઉચ્ચ ગુણોનો વિકાસ કરે છે. પ્રગતિ પ્રગતિ કરવાનું આ યુદ્ધ જો ન ચાલતું હોત તો કોઈ પણ સમાજમાં જીવવું અસહ્ય થઈ પડત. તેની ગેરહાજરીમાં કેવા ભયંકર પરિણામો આવે તેની કોઈ કલ્પના પણ કરી શકે નથી. જગતમાં ગુરુત્વાકર્ષણનો નાશ થવાથી જેવા પરિણામો આવે તેવાં જ પરિણામો પ્રગતિ માટેનો પ્રયાસ બંધ પડવાથી આવશે. તેમ થવાથી પ્રત્યેક વસ્તુનો નાશ થશે; નિરુધમ અને જડતા જ્યાં ત્યાં પ્રસરી જશે; કિંચિત પણ સાહસિકતા અને પ્રગતિ રહેશે નહિં અને લોકો ફરીથી જંગલી અવસ્થામાં પડી જશે. આ પ્રગતિ માટેનો પ્રયાસ સર્વ માણસોને હજારો રીતે શિક્ષણ આપે છે.  

     પ્રમાણિકપણે દ્રવ્ય પ્રાપ્ત કરવાના પ્રયાસમાં કેટલું બધુ શિક્ષણ રહેલું છે ! દ્રવ્યપ્રાપ્તિનો પ્રયાસ આપણને જે પરિશ્રમ, કરકસર, સ્વાર્થત્યાગ અને આત્મસંયમનું શિક્ષણ આપે છે તે દ્રવ્ય કરતાં હજારગણું વધારે કિંમતી ચ્હે. સંપતિની ઇચ્છાવાળા મનુષ્યને તે પ્રાપ્ત કરવાનાં પ્રયાસમાં નિરંતર પોતાના સર્વોચ્ચ અને ઉત્તમોત્તમ ગુણો પ્રકાશમાં લાવવાની ફરજ પડે છે. તેને આસપાસની પરિસ્થિતિને અનુકૂળ બનવાનો સતત પ્રયત્ન કરવો પડે છે. તેને ક્ષુદ્ર વિગતોની સાથે વારંવાર માથાફોડ કરવી પડે છે. તેથી તેનું મગજ કસાય છે. તેને હમેશાં પોતાના મગજને પોતાના ધંધાની કોઈ પણ બાબતને માટે તૈયાર રાખવું પડે છે. તત્કાળ નિશ્ચય ને તાબડતોબ કાર્ય કરવાની તેને હમેશાં ફરજ પડતી હોવાથી તેના મનુષ્યત્વનો વિકાસ થાય છે

     પરાભવો અને પરાજયો આપણાં ચારિત્ર્યનો મહાન વિકાસ કરે છે. તેમણે જ મનુષ્યોને પ્રચંડ સ્નાયુ, મજબૂત અવયવો અને અતિ સૂક્ષ્મ બુદ્ધિ આપીને મહાપુરુષો બનાવ્યા છે. બર્કે કહ્યું હતું કે `ઉત્તમ પ્રકારના લાલનપાલન અને મોજશોખથી હું રાજ્યનો સભાસદ થયો નથી.સંકટથી જ ઉત્તમતા પ્રાપ્ત થાય છે, એ મારો મુદ્રાલેખ છે,`

     મનુષ્યની આવશ્યકતાઓના સાધનોના પેટમાં કૃપાળુ કુદરતે વિશેષ ઉત્તમ શિક્ષણ આપવાનાં સાધનો છુપાયેલા છે. –સમાયેલા છે. અને એ કુદરત જ નવી નવી આવશ્યકતાઓ શોધીને તથા સમજાવીને મનુષ્યને આગળ ધકેલે છે અને આ પ્રમાણે આવશ્યકતાઓ પૂરી પાડવાનો મનુષ્યોને પ્રયત્ન કુદરતે તેનામાં લાવવા ઇચ્છેલા ચારિત્ર્યનો વિકાસ કરે છે.

    માણસો સ્વાભાવિક રીતે આળસુ હોય છે અને તેથી તેમની સિથિલ થતી મહત્વાકાંક્ષાને પોષવાને માટે, પ્રોત્સાહિત કરવા માટે તથા આરામ અને વડીલોપાર્જિત દ્રવ્યથી ઉત્પન્ન થતાં આળસને દૂર કરવાને તેમણે શક્તિમાં કરવાને માટે કોઈ મહાન ઉત્તેજક ઉપચારની જરૂર રહે છે. ગરીબાઈરૂપી દૈવી એડનો ઘા લાગવાથી જ મનુષ્ય હમેશાં કાર્યક્ષેત્રમાં આગળ ધકેલાયો છે.

    જે શિક્ષણ દ્રઢતા, હિંમત, ખંત અને આત્મસંયમ ઉત્પન્ન કરતું નથી તે માનવજીવનની આવશ્યકતાઓને માટે પૂરતું ગણી શકાય નહિ.

     સી. ડબલ્યુ. ઇલિયટ કહે છે કે `ઉચ્ચ શિક્ષણનું ફળ જ્ઞાન નથી પણ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા અને શક્તિ છે       –જ્ઞાન નથી પણ શક્તિ છે.`

     એમર્સને જેને `તકની ભૂમિ` જણાવી છે એવી અમેરિકાની ભૂમિ કરતાં અનેક રીતે ચડી જાય એવી હિંદની ભૂમિમાં વસવું એ એક જાતનું પ્રોત્સાહન છે-એક જાતનું શિક્ષણ છે. જે દેશમાં માણસોને અવગુણ અને અજ્ઞાનમાંથી જગાડી સદગુણ અને ઉધોગ તરફ ઉત્તેજનારી ગરીબાઈરૂપી મહાન ઔષધિ છૂટથી ઊગી નીકળે છે; સ્વાર્થત્યાગ, સાદાઈ, કૌશલ્ય, પરોપકાર વૃતિ, સહનશીલતા, આત્મસંયમ ઈત્યાદી ગુણોની બાબતમાં દુનિયાના કોઈ પણ દેશમાં જેનો જોટો ન મળી શકે એવા નેતાઓ જે દેશમાં વિધમાન હોઈને વાણી તથા સ્વચારિત્ર્ય વડે આગળ ઘસવાનો આદેશ આપી રહ્યા છે અને જે દેશમાં અગણિત સાધનો આપણને પ્રત્યેક દિશામાં આપણી શક્તિ દર્શાવવાને નિમંત્રણ કરી રહ્યા છે, તે દેશમાં કોઈ પણ માણસ આળસુ થઈ જ શી રીતે શકે ?  

हमारे स्कूल और शिक्षक
Image Source – Google image by KALiNgA TV https://m.dailyhunt.in/news/bangladesh/english/kalinga+tv-epaper-kalingtv/odisha+mp+turns+teacher+for+school+students-newsid-131956328 

No comments